ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 15

 

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 15

તાત્યા ટોપે, બાણપુરના રાજા, બ્રિટિશ આર્મીમાંથી બહાર નીકળીને પોતાનું સ્વતંત્ર ગ્રુપ બનાવીને લડનારા બે હજાર ભારતીય સૈનિકોની ટુકડી અને રાણી લક્ષ્મીબાઈ - આ ચારેય જણે ભેગા મળીને ગ્વાલિયર કિલ્લા અને ગ્વાલિયર પ્રાંત પર વહેલી સવારે જોરદાર હુમલો કર્યો.

ગ્વાલિયરના સંસ્થાનિકો અંગ્રેજો સાથે મિત્રતા ધરાવતા હતા, એટલે તેમણે રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને મદદ કરવાની ના તો પાડી જ, પણ સાથે સાથે અંગ્રેજોને બધી માહિતી પણ પહોંચાડી; પણ એ માહિતી પણ જાણીજોઈને અડધી-પડધી અને ઘણી ખરી રીતે અંગ્રેજોને ગેરમાર્ગે દોરનારી હતી.

ગ્વાલિયરના સંસ્થાનિકોએ કિલ્લો રાણી લક્ષ્મીબાઈના તાબામાં આપીને આ લડાઈથી પોતાનું અંતર અંગ્રેજોને બતાવી દીધું હતું અને તે મુજબ તેઓ ગ્વાલિયરથી દૂર જઈને રહેવા પણ લાગ્યા હતા; પરંતુ તેમના બે સરદારો રાણી લક્ષ્મીબાઈની મદદ માટે પાછળ રાખવામાં આવ્યા હતા અને સાથે ઘણું યુદ્ધ સાહિત્ય પણ. કુલ સોળ તોપો અને ઘણો દારૂગોળો ગ્વાલિયર સંસ્થાન તરફથી રાણી લક્ષ્મીબાઈને ભેટ તરીકે આપવામાં આવ્યો હતો.

14 જૂનની વહેલી સવાર સુધી રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, રાવસાહેબ પેશવા, બાણપુર મહારાજા સૈન્યની વ્યવસ્થિત વ્યૂહરચના કરવામાં પરોવાયેલા હતા. જનરલ હ્યુજ રોઝ (Hugh Rose) ને રાણી લક્ષ્મીબાઈના સૈન્યનો અંદાજ જરાય આવતો નહોતો, કારણ કે છેલ્લા દોઢ મહિનામાં સેંકડો શૂરવીર પુરુષો અને સ્ત્રીઓ અસંખ્ય રસ્તે ઝાંસીની રાણીના સૈન્યમાં સામેલ થઈ રહ્યા હતા.

જનરલ હ્યુજ રોઝ (Hugh Rose) ને મળતી ગુપ્ત બાતમીઓ મુજબ રાણી લક્ષ્મીબાઈ પાસે પોતાનું ચૌદ હજારનું સૈન્ય હોવું જોઈએ, તેમજ તાત્યા ટોપેના ત્રણ હજાર, બાણપુરના બે હજાર અને સ્વતંત્ર સેનાની ગ્રુપના ચાર હજાર સૈનિકો હોવા જોઈએ; પરંતુ ‘રાણી લક્ષ્મીબાઈના સૈન્યમાં કેટલા સૈનિકો ટ્રેઈન્ડ છે અને કેટલા બિનઅનુભવી પણ ઉત્સાહથી ભરેલા શૂરવીર ભારતીયો છે’ તેનો તેને બરાબર અંદાજ નહોતો આવતો અને એ માટે તેણે અલગ-અલગ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.

મેજર જનરલ હ્યુજ રોઝ(Hugh Rose) ને પૂરી ખબર હતી કે રાણી લક્ષ્મીબાઈ અને તેનું સૈન્ય જ તેના મુખ્ય દુશ્મન છે અને તેમને જ સૌથી પહેલા હરાવવા જરૂરી છે. લોર્ડ ડેલહાઉસી પછી ગવર્નર જનરલ પદે આવેલો લોર્ડ ચાર્લ્સ કેનિન્ગ અત્યંત ધૂર્ત રાજકારણી હતો અને મુખ્ય વાત એ કે એ બ્રિટિશ રાણી વિક્ટોરિયાનો ખાસ માણસ હતો; ખરેખર તો રાણી વિક્ટોરિયાએ જ તેને આ પદ પર ભારતમાં મોકલ્યો હતો.

તેણે ભારતમાં આવતાની સાથે જ
બોમ્બે યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટી અને મદ્રાસ યુનિવર્સિટી એમ ત્રણ આધુનિક યુનિવર્સિટીઓની સ્થાપના કરીને ભારતીય યુવાનોને બ્રિટિશ સેવામાં આવીને મોટા હોદ્દાઓ મેળવવાનો રસ્તો ખોલી આપ્યો અને પુષ્કળ સ્કૉલરશિપ પણ વહેંચી. જેને કારણે મોટા શહેરોના ભારતીય યુવાનો આ લડાઈથી દૂર થઈ ગયા.

કેનિન્ગે છેલ્લા બે વર્ષથી અટવાયેલો અને લોર્ડ ડેલહાઉસીએ આ યુદ્ધ પહેલા જ તૈયાર કરેલો ‘હિન્દુ વિધવા પુનર્વિવાહ કાયદો’ પાસ કરાવી લીધો અને તેની સૂચનાઓ પણ આખા ભારતમાં લાગુ કરી દીધી. મોટી યુનિવર્સિટીઓ અને વિધવા પુનર્વિવાહ કાયદો - આ બે બાબતોને કારણે સામાન્ય ભારતીયોને, ખાસ કરીને મધ્યમ વર્ગના સુધારકોને એવું લાગવા માંડ્યું કે ‘અંગ્રેજો તો જાણે ભગવાન જ છે, જે ભારતનો ઉદ્ધાર કરવા જ આવ્યા છે’ અને આ કથિત સુધારક મંડળીઓએ યુવાનો અને સ્ત્રીઓને સ્વતંત્રતાના યુદ્ધમાં ભાગ લેતા રોકવા માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી હતી અને તેના ખરાબ પરિણામો 1858 ના જાન્યુઆરીથી જ દેખાવા લાગ્યા હતા.

આ ચાર્લ્સ કેનિન્ગે ઝાંસી, ગ્વાલિયર અને કાનપુર (કાલ્પી) જેવી મહત્વની જગ્યાઓની આસપાસના વિસ્તારોમાં ‘રાણી લક્ષ્મીબાઈને જીવતી કે મરેલી પકડી આપનાર વ્યક્તિને 20,000 રૂપિયાનું ઈનામ અને સાથે પાંચસો એકર જમીન’ જાહેર કરી દીધી - ઠેર ઠેર, ચોરે ને ચૌટે, બજારોમાં, અહીં સુધી કે તમાશા અને નૌટંકીના ફડની બહાર પણ બોર્ડ લગાવ્યા, જાહેરાતો વહેંચી અને ઢંઢેરો પણ પીટાવ્યો. આ લાલચમાં આવીને ઘણા લાચાર અને લોભી ભારતીયો રાણીની હિલચાલની ખબરો અંગ્રેજોને પહોંચાડવા લાગ્યા અને અંગ્રેજોને અલગ-અલગ કામોમાં મદદ પણ કરવા લાગ્યા.

આવા જ એક ગદ્દારના માર્ગદર્શન મુજબ મેજર જનરલ હ્યુજ રોઝએ 14 જૂન 1858 ની સવારે ગ્વાલિયર પર ત્રીસ હજારના વિરાટ સૈન્ય સાથે જોરદાર આક્રમણ કર્યું. આ હુમલો કુલ છ બાજુથી કરવામાં આવ્યો હતો. દરેક બાજુ પાંચ હજાર સૈનિકો, 150 તોપો અને 550 આધુનિક રાઈફલ્સની ગોઠવણ કરવામાં આવી હતી. સાથે જ આ છ બ્રિટિશ ટુકડીઓની વચ્ચે ગદ્દાર થયેલા ભારતીયોની માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એ માટે 10,000 ભારતીયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાણી લક્ષ્મીબાઈએ પણ પોતાની પાસેના સૈન્યના અંગ્રેજોને વળતો જવાબ આપે તેવા જ વિભાગો તૈયાર કર્યા હતા. બધાને રાણી લક્ષ્મીબાઈનું નેતૃત્વ મંજૂર હતું. છએ ઠેકાણે જાણે ઘમસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. અંગ્રેજો પહેલા તોપો અને રાયફલોનો ઉપયોગ કરતા અને પછી તેમનું સૈન્ય આગળ વધતું. રાણી લક્ષ્મીબાઈ આ છએ જગ્યાએ સતત ફરીને બધાનો ઉત્સાહ વધારી રહી હતી, સમયે સમયે વ્યૂહરચના બદલી રહી હતી અને પોતે પણ પૂરા જોરથી લડી રહી હતી.

એકલી રાણી લક્ષ્મીબાઈએ 14 અને 15 જૂન - આ બે દિવસમાં 300 બ્રિટિશ સૈનિકોને અને 170 બ્રિટિશ આર્મી ઓફિસરોને યમરાજના ઘરે પહોંચાડી દીધા. તેમના શરીર પરના પેલા જૂના 59 ઘા હજુ રૂઝાયા પણ નહોતા.

16 જૂનના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ રાણી લક્ષ્મીબાઈનો ખાસ વિશ્વાસુ જાસૂસ ‘સાધુ ભગવાનદાસ’ રાણીને મળવા આવ્યો. આ ભગવાનદાસને દીવાન રઘુનાથ સિંહે જ રાણી સાથે મેળવી આપ્યો હતો અને રાણીના પિતાશ્રી મોરોપંત તાંબેએ જણાવ્યું હતું કે ‘સાધુ ભગવાનદાસ એ તેમના જૂના અને ખાસ વિશ્વાસુ મિત્ર ચિંતામણી રાસ્તે જ છે’.

સાધુ ભગવાનદાસે રાણીને અંગ્રેજોના સૈન્યબળ અને તોપખાનાની ઊંડી માહિતી આપી. આ ભગવાનદાસ અંગ્રેજોના સૈન્યમાં હિન્દુઓની પૂજા-પાઠ કરાવવા માટે સતત ફરતા રહેતા, એટલે અંગ્રેજ ઓફિસરોને તેમના પર ક્યારેય શંકા ન ગઈ. પણ રાણી લક્ષ્મીબાઈને હંમેશા એવું લાગતું કે જટા, દાઢી-મૂછ અને ભભૂતિમાં છુપાયેલા ભગવાનદાસની આંખો બહુ જાણીતી લાગે છે.

આજે પણ એવું જ થયું. બધી ખબરો આપીને સાધુ ભગવાનદાસ રાણીને પ્રણામ કરીને ગુપ્ત રસ્તે જવા માટે નીકળ્યા. જેવો એ પીઠ ફેરવીને ચાલવા લાગ્યો, રાણીની નજર તેના કપડાં પર પડેલા લોહીના ડાઘા અને તેના ભગવા ઝભ્ભામાંથી ટપકતા લોહીના ટીપાં પર ગઈ. રાણી ચિંતામાં આગળ વધી અને જોતજોતામાં ભગવાનદાસ નીચે ઢળી પડ્યા...

અને તે સાથે જ તેમના માથા પરની જટા અને નકલી દાઢી-મૂછ પણ નીકળી ગયા. રાણી લક્ષ્મીબાઈની નજર સામે તેમના પિતા મોરોપંત તાંબે અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. રાણીએ દોડીને પિતાનું માથું પોતાના ખોળામાં લીધું અને એ જ ક્ષણે મોરોપંતે દેહ છોડ્યો. એક પળ માટે રાણી શોકમાં ડૂબી ગઈ - ‘આ આંખોને હું કેમ ઓળખી ન શકી?’

પણ બીજી જ ક્ષણે પિતાના ચરણોમાં માથું નમાવીને રાણી લક્ષ્મીબાઈ પોતાના ‘બાદલ’ નામના ઘોડા પર સવાર થઈ ગઈ. આ ‘બાદલ’ તેને તેના પિતાએ જ ભેટમાં આપ્યો હતો. રાણી લક્ષ્મીબાઈએ તોફાની યુદ્ધ શરૂ કર્યું. તે પોતાની સમગ્ર શક્તિથી લડી રહી હતી. તેણે એકક્ષણ માટે પણ ઊંઘ લીધી નહોતી.

18 જૂને વહેલી સવારે અંગ્રેજોની તોપો રાણી લક્ષ્મીબાઈ જ્યાં હતી એ જગ્યા પર ચારેબાજુથી તોપગોળા વરસાવવા લાગી. એક બાજુ રાણી લક્ષ્મીબાઈ, મુંદરબેગમ, રાજકુંવર યાદવ, મંજુનાથ પહાડી અને તેનો અત્યંત લાડકો ભત્રીજો ‘રામચંદ્રરાવ’ અને 250 સૈનિકો હતા - અને તેમની ચારેતરફ 150 બ્રિટિશ ઓફિસરો, 250 તોપો અને દસ હજાર બ્રિટિશ સૈનિકો હતા.

રાણી લક્ષ્મીબાઈના શરીર પર લોહી વહેતું ન હોય એવી એક પણ જગ્યા ખાલી નહોતી, છતાં પણ તે લડી રહી હતી. તેના બાદલના ચારેય પગમાં ગોળીઓ વાગી અને રાણી ઘોડા પરથી નીચે પડી ગઈ. પડતા પડતા પણ રાણી લક્ષ્મીબાઈએ પીઠ પર બાંધેલા દત્તક પુત્ર ‘દામોદરરાવ’ ને રાજકુંવર યાદવને સોંપ્યો અને તેમને સુરક્ષિત નીકળવાનો રસ્તો બતાવ્યો.

જમીન પર પછડાયેલી અને હાથમાં તલવાર લઈને હજુ પણ લડતી રાણી લક્ષ્મીબાઈએ એવી હાલતમાં પણ નવા ઘોડા પર છલાંગ લગાવી. બંને હાથમાં તલવાર લઈને લડતી રાણી લક્ષ્મીબાઈની પીઠમાં એક અંગ્રેજ સૈનિકે ઘા કર્યો. અંતિમ શ્વાસ લેતા લેતા રાણી લક્ષ્મીબાઈએ રાજકુંવર અને રામચંદ્રરાવને બૂમ પાડીને કહ્યું, “એક પણ અંગ્રેજનો સ્પર્શ મારા મૃતદેહને ન થવો જોઈએ.”

તેમના મુખમાંથી ગીતાના શ્લોકો નીકળી રહ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ ઝાંસી તરફ જોઈ રહી હતી. પોતાની નજર સામે દેખાતા ભગવાન શ્રીકૃષ્ણને ધરાઈને જોયા અને બોલી, “વાસુદેવ! હું ફક્ત તને જ શરણ છું.” પછીની પાંચ જ મિનિટમાં તેનો દેહ રામચંદ્રરાવ, રાજકુંવર અને મોતીબાઈ જંગલમાં લઈ ગયા અને અગ્નિસંસ્કાર કર્યા.

રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ક્યારેય થઈ જ ન શકે. તે આજે પણ ભારતમાતાના હૃદયમાં વસેલી છે અને હંમેશા રહેશે જ.
(કથા ચાલુ છે)

मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments