પહેલીવાર રાણી લક્ષ્મીબાઈએ સ્વાતંત્ર્ય સેનાનીઓનું નેતૃત્વ પ્રત્યક્ષ લડાઈમાં કર્યું હતું. દુશ્મનો સામે ખુલ્લેઆમ લડવું જરૂરી છે તે સમજીને જ તેમણે મેજર એર્સ્કિનની સેના પર હુમલો કર્યો હતો. મેજર એર્સ્કિન, તેના પાંચ બ્રિટિશ સૈનિકો અને સો ભારતીય મૂળના બ્રિટિશ સૈનિકો સાથે જીવ બચાવવા ભાગ્યો. તે જરાય મોડું કર્યા વગર મેજર જનરલ હ્યુજ રોઝને મળવા નીકળ્યો. પણ આ મુસાફરીમાં તેને પાંચ દિવસને બદલે પંદર દિવસ લાગ્યા.
પાંચ દિવસની મુસાફરી પંદર દિવસ સુધી ખેંચાઈ, તેનું કારણ રાણી લક્ષ્મીબાઈના સૈનિકો હતા. ગામડાઓમાં અને જંગલોની ખીણોમાં છુપાયેલી સૈનિકોની ટુકડીઓએ બ્રિટિશ સેનાને અનેક રીતે હેરાન કરી.
બ્રિટિશ સેનાને અનાજ ન મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. ચાર-પાંચ જગ્યાએ તો તેમના રસોડાના ચૂલાઓ પર પાણી રેડી દેવામાં આવ્યું. ભૂખ્યા-તરસ્યા મેજર એર્સ્કિન અને તેના સાથીઓને બીજી જગ્યાએ ભાગવું પડ્યું.
રાણી લક્ષ્મીબાઈની દ્રષ્ટિએ આ દસ-પંદર દિવસ ખૂબ મહત્વના હતા. કારણ કે યમુના નદીના કિનારે આવેલા કાલ્પી શહેરમાં નાનાસાહેબ પેશ્વાના ભત્રીજા રાવ સાહેબનું મુખ્યાલય હતું. પેશ્વાના સેનાપતિ તાત્યા ટોપે, કાનપુરના રાજા અને ખુદ રાણી લક્ષ્મીબાઈના નેતૃત્વમાં દસ હજાર સૈનિકોની સેના તૈયાર કરવામાં આવી હતી. તેમના તાલીમબદ્ધ સૈનિકોની મદદ ઝાંસીની લડાઈ માટે જરૂરી હતી.
મેજર એર્સ્કિનની છાવણી પર થયેલા હુમલાને જોઈને ઝાંસી અને આસપાસના વિસ્તારના ખેડૂતો અને મજૂરો મોટી સંખ્યામાં ઝાંસી શહેરમાં એકઠા થવા લાગ્યા. તેમાંથી મજબૂત માણસોને તાલીમ આપીને તેમના હાથમાં તલવાર, ભાલા, કસાઈના છરા અને કરવત જેવા હથિયારો આપવામાં આવ્યા.
દેશપ્રેમથી ભરેલો અને ધર્મ રક્ષા માટે તૈયાર થયેલો આ સમુદાય વ્યવસાયિક 'સૈનિક' નહોતો; પણ તેમના હૃદયમાં રહેલી આગ પ્રબળ હતી. તેઓ મારવા પણ તૈયાર હતા અને મરવા પણ તૈયાર હતા.
આ લોકોને તાલીમ મળે અને તાત્યા ટોપે પોતાની સેના લક્ષ્મીબાઈ માટે મોકલી શકે, તે માટે મેજર એર્સ્કિનની મુસાફરીને પંદર દિવસ સુધી સફળતાપૂર્વક લંબાવવામાં આવી હતી.
આ રીતે છૂપી રીતે એટલે કે ગોરિલા હુમલા કરીને બ્રિટિશ સેનાને હેરાન કરવી એ રાણીના કેટલાક સાથીઓને યોગ્ય નહોતું લાગતું. તેમનું કહેવું હતું કે આનાથી મેજર જનરલ હ્યુજ રોઝ વધુ ગુસ્સે થશે અને મોટી સેના લઈને ઝાંસી પર આક્રમણ કરશે.
આ વિચાર ધરાવતા તમામ નિષ્ઠાવાન સાથીઓને રાણી લક્ષ્મીબાઈએ સમજાવ્યું કે આપણે ગમે તે કરીએ, આ સ્વાર્થી અને કપટી બ્રિટિશ કંપની સરકાર આજે નહીં તો કાલે આપણા પર હુમલો કરવાની જ છે.
સાથીઓને સમજાવ્યા પછી રાણી લક્ષ્મીબાઈએ લગભગ ૧૫૦ મુખ્ય સાથીઓની બેઠક બોલાવી. ત્યાં રાણીએ આપેલું ભાષણ આવનારા સમયના દરેક સ્વાતંત્ર્ય સેનાની માટે પ્રેરણાદાયક બન્યું.
ઝાંસીની રાણીએ કહ્યું, "આખા ભારતવર્ષને ગળી જવાનો આ દાવ છે. આનો વિરોધ કરવો સહેલો નથી તે હું જાણું છું. પણ બ્રિટિશરો પાસે રહેલા દારૂગોળા, તોપો અને લાખો સૈનિકોથી ડરીને આપણે ચૂપ બેસી રહીશું, તો શું તેઓ આપણને પ્રેમ અને આદર આપશે?
બ્રિટિશ સેનાએ જે રીતે ધનસિંહ ગુર્જરને મારી નાખ્યો, તેના સૈનિકોની કતલ કરી અને ભારતીયોમાં ડર પેદા કરવા ગામડે ગામડે લોકોને ફાંસીએ લટકાવ્યા, તે જોતા ખોટા સપના જોવાનો કોઈ અર્થ નથી.
તેઓ ઝાંસીને ક્યારેય સ્વતંત્ર રહેવા નહીં દે, આપણું અસ્તિત્વ જ મિટાવી દેશે. ન ઝાંસી સંસ્થાન બચશે, ન હું કે તમે નેતા તરીકે બચીશું.
મને મળેલી બાતમી મુજબ લોર્ડ ડેલહાઉસીએ પોતે આદેશ આપ્યો છે કે ઝાંસીમાં દરેકને વીણી વીણીને મારો અને અહીં એકપણ વેપારી, જમીનદાર, પાઠશાળા કે મંદિર બચવું જોઈએ નહીં.
મને કહો, આવા બ્રિટિશરોથી ડરીને ઉંદરની જેમ મરવું સારું કે તેમનો વિરોધ કરીને લડતા લડતા આગળ વધવું સારું?
લડીશું તો બચવાની થોડી આશા છે, પણ નહીં લડીએ તો સર્વનાશ નક્કી છે.
લડતા લડતા હારી જઈએ, પકડાઈ જઈએ કે મરી જઈએ, તો પણ મરતા મરતા બ્રિટિશરોને એવો પાઠ ભણાવીશું કે તેમને ભારતીયોના શૌર્ય અને એકતાનો ડર બેસી જવો જોઈએ.
મરવાનું તો એક દિવસ બધાને જ છે. હું પણ અમર નથી અને તમે પણ નથી. તો પછી દેશ અને ધર્મ માટે કેમ ન મરવું? તેમાંથી જ આગળ લાખો યોદ્ધાઓ આખા ભારતમાં તૈયાર થશે.
હા! ચોક્કસ તૈયાર થશે કારણ કે રાજકુંવર યાદવ અને તેના ભાઈ બિહારીલાલ યાદવને મેં પોતે તૈયાર કર્યા છે. આપણી લડાઈની ખબર રાખવા અને જો આપણે મરી જઈએ તો આ બંનેના નેતૃત્વમાં એક ટુકડી આખા ભારતમાં ફરીને આપણી વીરગાથા અને બ્રિટિશરોના અત્યાચારોની વાતો ગામડે ગામડે પહોંચાડશે.
બ્રિટિશરોએ 'મુંબાદેવી' (મુંબઈ) શહેર વિકસાવ્યું છે. ત્યાંના વેપારીઓ બ્રિટિશરોનો જ સાથ આપશે તે મને ખબર છે. તેથી મુંબઈના પ્રતિષ્ઠિત 'શ્રી જગન્નાથ શંકર શેઠ' ના હું સંપર્કમાં છું. તેઓ ગુપ્ત રીતે આપણને મદદ કરી રહ્યા છે. તેમજ મુંબઈના હવાલદાર સૈયદ હુસૈન, નાઈક મંગલ ગુડરિયા અને વટેશ્વર પાઠક પણ ગુપ્ત રીતે કાર્યરત છે.
સાથે જ કોલ્હાપુરના ચીમાસાહેબ, સતારાના રંગો બાપૂજી ગુપ્તે, નરગુંદના બાળાસાહેબ ભાવે અને હવાલદાર રામજી શિરસાટ જેવા આપણા લોકો આપણને ટેકો આપી રહ્યા છે. સમય આવ્યે તેઓ પણ બળવો પોકારશે. વિવિધ પ્રાંતોના ભારતીયો એક થઈ રહ્યા છે તેનો અર્થ સમજો—આપણો ભારત અને સંસ્કૃતિ મહાન છે અને બ્રિટિશરોને આપણે સુખેથી રાજ કરવા દઈશું નહીં.
મને પૂરો વિશ્વાસ છે કે જો હું મરી જઈશ તો ફરી ભારતમાં જ જન્મ લઈશ અને બ્રિટિશરો સામે લડીને વિજય મેળવીશ."
રાણી લક્ષ્મીબાઈના આ તેજસ્વી ભાષણથી ત્યાં હાજર દરેક વ્યક્તિમાં જોશ ભરાઈ ગયું.
આ સભામાં મુંબઈના જગન્નાથ શંકર શેઠ અને સતારાના રંગો બાપૂજી ગુપ્તે છૂપા વેશે હાજર હતા. તેમણે લોકો પાસેથી જમા કરેલો ભંડોળ રાણીના ચરણોમાં અર્પણ કર્યો.
એના આઠ દિવસ પછી મેજર એર્સ્કિને પંદર હજાર સૈનિકો સાથે ઝાંસી પર હુમલો કર્યો. તેની પાંચસો તોપોએ ઝાંસી પર ગોળા વરસાવવાનું શરૂ કર્યું.
અને ત્યારે રાણી લક્ષ્મીબાઈએ ભર દરબારમાં ગર્જના કરી, ‘મેરી ઝાંસી નહીં દૂંગી!’ (મારી ઝાંસી નહીં આપું)






Comments
Post a Comment