લોકમાન્ય ટીળકના અવસાનના સમાચાર ખરેખર વાયુવેગે આખા ભારતમાં ફેલાઈ ગયા. ઈ.સ. 1920માં દૂરસંચારના સાધનો બહુ જ ઓછા હતા, છતાં પણ આપણા વહાલા નેતાના નિધનના સમાચાર ભારતના ખૂણેખૂણે માત્ર બે કલાકમાં પહોંચી ગયા હતા.
ટીળકના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી. ભારતના ખૂણેખૂણેથી અનેક નેતાઓ અને સામાન્ય ભારતીયો પણ અંતિમયાત્રા માટે નીકળી પડ્યા. પણ મુસાફરીના મર્યાદિત સાધનોને લીધે (trains, buses, planes) દરેક જણ માટે સમયસર પહોંચવું શક્ય જ નહોતું.
એક બ્રિટિશ પત્રકારે નોંધ્યા મુજબ તે વર્ણન કંઈક આવું છે - ‘સમાચાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં સૌથી પહેલા ફેલાયા અને સરદારગૃહની બહાર જાણે આખી મુંબઈ જ ઉમટી પડી. કોણ કોને રોકે?
ભારતીય મૂળના અનેક પોલીસ ઓફિસરો પણ પોતાના આંસુ અને ડૂસકાં રોકી શક્યા નહોતા. તે ભીડમાં દરેક સ્ત્રી-પુરુષ રડતા હતા, લોકમાન્ય ટીળકના નામના નારા લગાવતા હતા અને પોતાની પૂરી તાકાત લગાવીને દર્શનની દિશામાં આગળ વધી રહ્યા હતા.
ભારે ભીડને કારણે દર્શન રોકવાનો નિર્ણય લેવાયો, પણ ‘તે દિવસે’ સામાન્ય ભારતીય નાગરિક બ્રિટિશ કોન્સ્ટેબલ તો શું, પણ બ્રિટિશ વંશના મોટા હોદ્દા ધરાવતા પોલીસ ઓફિસરોને પણ જરાય ગાંઠતો નહોતો.
દર્શન બંધ થવાથી દુઃખી થયેલી ભારતીય જનતાનો રોષ અને આક્રોશ બ્રિટિશ ઓફિસરોને બરાબરનો અનુભવાવા લાગ્યો.
મુંબઈ પ્રાંતના ગવર્નરે વાઈસરોયનો સંપર્ક કર્યો અને બધી હકીકત જણાવી. અંગ્રેજો સમજી ગયા હતા કે જો અંતિમ દર્શનથી કે અંતિમયાત્રામાં જોડાતા એક પણ ભારતીયને રોકવામાં આવશે, તો ભયંકર રમખાણો ફાટી નીકળશે અને આ ગુસ્સે ભરાયેલા વિશાળ ટોળા સામે બ્રિટિશ સરકાર, બ્રિટિશ ઓફિસરો અને બ્રિટિશ સૈનિકો પણ લાચાર થઈ જશે અને જો ગોળીબાર કર્યો, તો આખા ભારતમાં અંગ્રેજોની હાલત ‘નાસતા છૂટે’ એવી થઈ જશે.
બ્રિટિશ પોલીસ ઓફિસરો અને સાર્જન્ટ જનતાને અંતિમ દર્શન માટે અને અંતિમયાત્રા દરમિયાન મદદ કરતા જોવા મળ્યા. તેમાં પ્રેમ કે આદર નહોતો, પણ ભવિષ્યની ચિંતા હતી. આ એક મોટો કપટી દાવ હતો.
લોકમાન્ય ટીળકના અંતિમ દર્શન માટે મોટા મોટા દિગ્ગજ નેતાઓ, સમાજસુધારકો, પત્રકારો, લેખકો, વકીલો અને ઉદ્યોગપતિઓની લાઈનો લાગી. મુંબઈના ગુજરાતી અને મારવાડી સમાજે તો લોકોની સગવડ માટે ઠેર-ઠેર પીવાના પાણીની અને લીંબુ શરબતની વ્યવસ્થા કરી. અનેક ધનિકોએ લાઈનમાં કલાકો સુધી ઉભેલા લોકો માટે પાણી, દૂધ અને કેળાની વ્યવસ્થા કરી અને મુખ્ય વાત એ હતી કે આમાંની કોઈ પણ ધનિક વ્યક્તિ કે સંસ્થા પોતાનું બોર્ડ મારીને પ્રદર્શન નહોતી કરતી.
તે ભીડમાં મરાઠી, ગુજરાતી, મારવાડી, ઉત્તર પ્રદેશી, બંગાળી, કન્નડ, તેલુગુ, શીખ જેવા વિવિધ ભારતીયોની ભીડ જોઈને, તે તે સમાજના ફોટા બ્રિટિશ પોલીસે પાડ્યા અને વાઈસરોયને તાત્કાલિક મોકલી આપ્યા.
લોકમાન્ય ટીળકનો મૃતદેહ તેમના અનુયાયીઓ માટે કોઈ સામાન્ય મૃતદેહ નહોતો. તેમના માટે તો તે લોકમાન્યની સંજીવન સમાધિ હતી, દિવ્ય યોગારૂઢ અવસ્થા હતી, કર્મયોગની અંતિમ સ્થિતિ હતી.અને આ જ કારણે ટીળકનો દેહ પદ્માસનમાં બેસાડવામાં આવ્યો હતો. ન. ચિં. કેળકરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘માંડલે જેવી ભયંકર જેલમાં પણ અંગ્રેજો સામે ક્યારેય આડા ન પડેલા લોકમાન્યનો મૃતદેહ પણ ક્યારેય આડો રાખવામાં નહીં આવે.’
આ આખું દ્રશ્ય બ્રિટિશ રાજસત્તાને ધ્રુજાવી દે તેવું હતું. ટીળકની અંતિમયાત્રા ભારતીયોને વધુ સશક્ત, બળવાન અને નિર્ભય બનાવવાની હતી અને તેનો જ ડર અંગ્રેજોને વધારે લાગવા માંડ્યો.
ટીળકના અવસાનના સમાચારથી ખુશ થયેલી બ્રિટિશ ગવર્નમેન્ટ અંતિમયાત્રાના વર્ણનોથી જબરદસ્ત સાવધ થઈ ગઈ.
વાઈસરોયે તાત્કાલિક સંદેશો મોકલી દીધો કે - ‘બધી પ્રજાની સગવડ સચવાય તે માટે, તમામ નિયમો બાજુએ મૂકીને લોકમાન્ય ટીળકના અંતિમ સંસ્કાર ગિરગાંવની આલીશાન ચોપાટી પર કરવામાં આવે.’ (તે સમયની ગિરગાંવ ચોપાટી અનેક એકરમાં ફેલાયેલી હતી.)
‘લોકમાન્યની ચિતા સાદા લાકડાની તો ન જ હોવી જોઈએ’ એવો નિર્ણય સાચા ભારતીય એવા ઉદ્યોગપતિઓએ લીધો અને લોકમાન્યની ચિતા સંપૂર્ણપણે ચંદનના લાકડામાંથી બનાવવામાં આવી.
પણ એક અજીબ અને અદભૂત વાત શરૂ થઈ. અંતિમયાત્રામાં જોડાયેલા અનેક લોકોએ પોતપોતાની આર્થિક શક્તિ મુજબ ચંદનના લાકડા લાવ્યા હતા અને તેનો મોટો ઢગલો થઈ ગયો હતો.
જે પારસી સમાજ પાસે ચંદનનો વેપાર હતો, તે સમાજના આગેવાનોએ બળદગાડા ભરીને ચંદન અર્પણ કર્યું.
અનેક દરગાહો પરથી ટીળકના દેહ પર ફૂલો વરસાવાયા અને દુઆઓ પઢવામાં આવી. બ્રિટિશ ગવર્નરના અંદાજ મુજબ ચાર લાખ પુરુષો અને એક લાખ સ્ત્રીઓ તે અંતિમયાત્રામાં જોડાઈ હતી અને તેમાંથી દરેક જણ ‘લોકમાન્ય ટીળક અમર રહે, બ્રિટિશ રાજ મુર્દાબાદ, લાલા લજપતરાય ઝિંદાબાદ’ જેવા નારા લગાવી રહ્યા હતા.
‘ટીળકની જેમ જ આક્રમક સ્વભાવ ધરાવતા લાલા લજપતરાય પાસે જો નેતૃત્વ જશે, તો ટીળકનું જહાલ જૂથ અને ક્રાંતિકારીઓનો વિજય થશે’ એવો અભિપ્રાય વાઈસરોયે વ્યક્ત કર્યો અને લાલા લજપતરાયને બાજુએ કરી, ટીળકના જહાલ વિચારોનો પ્રભાવ ઓછો કરવા માટે બ્રિટિશ સરકારના પક્ષમાં રહેલા જવાહરલાલ નેહરુને સાથમાં લીધા અને ગાંધીજીને આગળ લાવવાનો નિર્ણય કર્યો, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ટીળકે સૈન્ય ભરતીનો વિરોધ કર્યો હતો, જ્યારે ગાંધીજીએ તેને ટેકો આપ્યો હતો. ટીળકની ચિતા સતત સાત દિવસ સુધી બળતી રહી કારણ કે ભારતના અલગ-અલગ પ્રાંતોમાંથી લોકો આવતા જ રહ્યા અને ચંદન અર્પતા રહ્યા.
આગળ જતાં ગાંધીજીનું નેતૃત્વ સ્થાપિત થયું પણ તેની શક્તિ ટીળકના પરિશ્રમમાંથી જ પેદા થઈ હતી.
(વાર્તા ચાલુ)






Comments
Post a Comment